સાહિત્યસર્જક: કમળાશંકર ત્રિવેદી
સવિશેષ પરિચય:કમળાશંકર ત્રિવેદીત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર (૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫) : સંપાદક, વ્યાકરણવિદ. જન્મસ્થળ સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૭૪માં મૅટ્રિક. ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ. આર્થિક મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન કરતાં સુરતની મિશન હાઈસ્કૂલમાં અવેજી શિક્ષક તરીકે જોડાયા. પછીથી ભરૂચ, નડિયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ અને પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ સ્તરે શિક્ષણકાર્ય. ૧૯૦૨માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં આચાર્ય તથા ‘ગુજરાત શાળાપત્ર’ નું સંપાદન. મુંબઈ તથા પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તથા ફેલો. ૧૯૧૪માં નિવૃત્ત. ૧૯૨૪ ની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો લઈ અભ્યાસ કરનાર આ લેખકે અધ્યયન અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં કર્યું છે. વ્યાકરણગ્રંથોની રચના તથા સંસ્કૃતગ્રંથોનું ભાષાન્તર એમનું મહત્વનું પ્રદાન છે. સંપાદન પર પણ એમના સંસ્કૃતઅધ્યાપનનો સ્પષ્ટ પ્રભાવ જણાય છે. ઇતિહાસ, શિક્ષણ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ગણિત, તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં સક્રિય રસ દાખવી એમણે ‘ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ’ (૧૮૮૭), ‘ગોડ્સ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૩), ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્વો’ (૧૯૧૩), ‘શંકરજ્યંતી વ્યાખ્યાનમાળા’ (૧૯૧૩), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૧૪/૧૬), ‘કારકમીમાંસા’ (૧૯૧૫), ‘મધ્યમ વ્યાકરણ’ (૧૯૧૭), ‘બૃહદ્ વ્યાકરણ’ (૧૯૧૯), ‘હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૯૨૦), ‘કાવ્યસાહિત્ય મીમાંસા’ (મરણોત્તર, ૧૯૩૦), ‘અનુભવવિનોદ’ (મરણોત્તર, ૧૯૩૩), જેવા મૌલિક ગ્રંથો આપ્યા છે. ‘સંસ્કૃત’-પુ. ૧-૨ (૧૮૯૬), ‘સંસ્કૃતશિક્ષિકા’ (૧૯૧૧), ‘સાહિત્યમંજરી’ (૧૯૧૫) તથા ‘ગુજરાતી/ત્રિવેદી વાચનમાળા’ (૧૯૨૧) વગેરે એમનાં સંપાદિત પાઠ્યપુસ્તકો છે. પાણિનીનાં સૂત્રોની સમજ આપતું દ્રષ્ટાંતકાવ્ય ‘ભટ્ટીકાવ્ય/રાવણવધ’ (૧૮૯૮), જગન્નથકૃત ‘રેખા ગણિત’ (૧૯૦૧-૨), વિદ્યાધરકૃત ‘એકાવલિ’ (૧૯૦૮), વિશ્વનાથકૃત ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’ (૧૯૦૯), લક્ષ્મીધરકૃત ‘ષડ્ભાષાચંદ્રિકા’ (૧૯૧૮), રામચંદ્રકૃત ‘પ્રક્રિયાકૌમુદી’, વરરુચિકૃત ‘પ્રાકૃત પ્રકાશ’ તથા કોંડ ભટ્ટકૃત ‘વૈયાકરણભૂષણ’ એમનાં સંપાદનો છે. - રમેશ ર.દવે ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯) : કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. ગુજરાતી ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વે ધરાવે છે. આ વ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણોનો પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને નવમા પ્રકરણોમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાક્યપૃથ્થકરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલો વ્યાકરણ પરનો આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના પ્રસ્થાન-બિંદુ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે. - હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી