પરિચય

ઇતિહાસ

૧૦૦ વર્ષથીય વધુ

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે મહાન નવલકથાકાર ગોવર્ધનરામ મા. ત્રિપાઠીની સેવા સાંપડી. ઈ.સ.૧૯૨૦ સુધી રણજિતરામ પરિષદના ચાલકબળ હતા.ઈ.સ.૧૯૨૦થી રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને છેક ઈ.સ.૧૯૨૮ સુધી પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું.

ઈ.સ.૧૯૫૫માં ગોવર્ધનરામની જન્મભૂમિમાં અને એમની જન્મશતાબ્દીના વર્ષમાં પરિષદ પુનર્જન્મ પામી. એ પછી સાહિત્ય પરિષદના સભ્યો દ્વારા ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા તેનું સંચાલન થાય છે. ઉમાશંકર જોશી અને યશવંત શુક્લએ સાહિત્ય પરિષદના લોકશાહી સ્વરૂપની માવજતમાં ઊંડો રસ લીધો અને સંસ્થાને આજીવન સેવા આપીને પરિષદનું નૂતન લોકાભિમુખ સ્વરૂપ વિકસાવ્યું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી શિક્ષણ અને સંસ્કારની વિશિષ્ટ સંસ્થાઓમાં પરિષદનાં યોજાયેલાં ૨૩ જ્ઞાનસત્રો તેની ફલશ્રુતિ છે.

મનુભાઈ પંચોળી-દર્શકે પરિષદ-પ્રમુખ તરીકે સહૃદય દાતાઓના સંપર્કની મોટા પાયે પહેલ કરી અને સાહિત્ય પરિષદના હાલના ‘ગોવર્ધનભવન’ના પાયા નંખાયા. 'દર્શક'ની જીવનદ્રષ્ટિ સાથે સંકળાયેલા રઘુવીર ચૌધરીએ ઈ.સ. ૧૯૭૫થી પરિષદના મંત્રી તરીકે અને પછી ક્રમશ: ટ્રસ્ટી તથા પ્રમુખ રૂપે સક્રિય રહીને પરિષદ સાથે સતત નિસબત દાખવી છે.

આ અરસામાં પરિષદના ગોવર્ધનભવનમાં પૂર્વે કોશકાર્યાલય દ્વારા અને પછીથી પરિષદના ‘કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર (ક.લા.સ્વાધ્યાયમંદિર)’ દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધન -સંપાદન - વિવેચનના મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા. આ ઉપરાંત પરિષદનું ‘ચીમનલાલ મંગળદાસ જાહેર ગ્રંથાલય’ પ્રશિષ્ટ ગ્રંથો, ગ્રંથ સંગ્રહો અને સામયિકો સંદર્ભે સમૃધ્ધ થયું. પરિષદના મુખપત્ર ‘પરબ’નું સ્વરૂપ બદલાયું અને તે સાહિત્ય સર્જન-વિવેચન અને સંશોધનના ધ્યાનપાત્ર માસિક તરીકે સ્થિર થઈને પ્રતિષ્ઠા પામ્યું. ‘પરબ’ના તંત્રી-સપાદક તરીકે ભોળાભાઈ પટેલની દીર્ઘકાળ સેવા મળી.

સાહિત્ય પરિષદના સદગત ટ્રસ્ટીઓમાં એચ.એમ.પટેલની સક્રિયતાનું સાદર સ્મરણ થાય છે. મહાન સર્જકોના નામે ગુપ્તદાન આપવાની પ્રણાલી શ્રી બળવંતભાઈ પારેખે આરંભી અને જાળવી. પરિષદ-પ્રમુખો વિનોદ ભટ્ટ અને ધીરુભાઈ ઠાકરે પરિષદનો આર્થિક ભાર હળવો કર્યો છે તો નિરંજન ભગતે સાહિત્યનાં વૈશ્વિક ધોરણોની યાદ તાજી રખાવી છે. પરિષદના શતાબ્દી-સંમેલનના પ્રમુખ તરીકે સુશ્રી.ધીરુબેન પટેલ જેવા સર્જક અને સાંસ્કૃતિક દાયિત્વ ધરાવતાં મહિલાની વરણી થઈ - એ સમગ્ર ગુજરાતીભાષી પ્રજા માટે આનંદ અને ગૌરવદાયી ઘટના છે.

અમદાવાદમાં એનું પહેલું સંમેલન ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાતની બહાર કરાંચી, દિલ્હી, કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના અને કોઈમ્બતુર જેવાં સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજીને ગુજરાતને ખૂણે ખૂણે અને ભારતની દિશા-દિશાએ પોતાની ભાવના વિસ્તારી છે. પરિષદના સંમેલન પ્રસંગે મળેલાં વિદ્વાન પ્રમુખોનાં મનનીય વ્યાખ્યાનો અને સંશોધનાત્મક નિબંધોએ ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃધ્ધ કર્યું છે.

અમદાવાદ પછી મુંબઈ, રાજકોટ, વડોદરા અને સુરતની યાત્રા પછી પરિષદનું ફરીવાર ઈ.સ.૧૯૨૦માં અમદાવાદમાં છઠ્ઠું અધિવેશન મળ્યું ત્યારે, એક પ્રયોગ તરીકે એમાં સાહિત્ય, ઈતિહાસ અને વિજ્ઞાન, એમ ત્રણ વિભાગો રાખવામાં આવ્યા હતા અને તેમાં વિભાગીય પ્રમુખ તરીકે શ્રી રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર અને સાંકળચંદ શાહની વરણી થઈ હતી. પરિષદના ઈતિહાસનો આ પહેલો વળાંક હતો.

૧૯૨૦ સુધી સ્વ.રણજિતરામ પરિષદના પ્રેરક ચાલકબળ હતા. ૧૯૨૦થી રમણભાઈ નીલકંઠ અને શ્રી આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા એને છેક ઈ.સ.૧૯૨૮ સુધી પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૦માં રવીન્દ્રનાથનું અતિથિવિશેષપદ નોંધપાત્ર રહ્યું હતું અને ઈ.સ.૧૯૨૮ પછી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ છેક ૧૯૫૫ સુધી સંભાળ્યું. સંમેલનો વખતે નિબંધવાચન ઉપરાંત પુસ્તકો અને સામયિકોનાં પ્રદર્શનો, પાદપૂર્તિ, મુશાયરાઓ જેવાં અન્ય સંસ્કાર અંગો પણ વિકસતાં જતાં હતાં અને એની પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિ ધ્યાન ખેંચી રહી હતી. અમદાવાદ પછી ભાવનગર, મુંબઈ, નડિયાદ (બે વાર) અને લાઠીની યાત્રા કરીને ફરી વાર ઈ.સ.૧૯૩૧માં પરિષદનું ૧૨મું સંમેલન અમદાવાદમાં યોજાયું. ભાવનગરમાં સાહિત્ય, ઈતિહાસ અને વિજ્ઞાનના વિભાગોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

નવમા અધિવેશન(નડિયાદ)માં ધર્મતત્ત્વજ્ઞાન, સમાજ અને અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, લલિતકલા અને પત્રકારત્વ એમ સાત વિભાગોને સ્થાન આપીને પરિષદે પોતાના ક્ષેત્રને વિસ્તાર્યું હતું.

ગાંધીજી જેવા કર્મયોગીની છત્રછાયા અને પ્રવૃત્તિ વિસ્તારથી અમદાવાદમાં ૧૯૩૬માં યોજાયેલું બારમું સંમેલન ગાંધીજીના પ્રમુખપદથી નોંધપાત્ર રહ્યું હતું. પરિષદમાં સાહિત્યસેવીઓનો પ્રધાન અવાજ સંભળાય એ પ્રકારની માંગણી આ સંમેલનમાં થઈ. અમદાવાદના આ સંમેલને, આ રીતે બીજો ઐતિહાસિક વળાંક સૂચવ્યો. અમદાવાદ પછી કરાંચી, અંધેરી, રાજકોટ, જૂનાગઢ અને નવસારીમાં પોતાનાં સંમેલનો યોજ્યાં. એ સર્વ સંમેલનોમાં વિવિધ વિભાગોની જોગવાઈ થઈ હતી. કરાંચી સંમેલન પછી ઈ.સ.૧૯૩૯માં સારસ્વતસત્ર પણ ભરાયું હતું

ઈ.સ.૧૯૫૫માં પરિષદને પચાસ વર્ષ પૂરાં થયાં હતાં. ગોવર્ધનરામની શતાબ્દીનો મહોત્સવ પણ એ જ વર્ષમાં આવતો હતો. નડિયાદે પરિષદને પોતાને આંગણે નિમંત્રી અને પરિષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામની શતાબ્દી પણ એ પ્રસંગે ઊજવવાનો સંકલ્પ કર્યો. પરંતુ એ પૂર્વે અનેક સાહિત્યપ્રેમી લેખકોની સહીથી, પરિષદના બંધારણને લોકશાહી સ્વરૂપ આપવા અંગે માગણી કરતું નિવેદન પ્રગટ થયું અને તેનો સ્વીકાર ન થાય તો સમાંતર પરિષદ ભરવાની ચેતવણી આપવામાં આવી. સૂત્રધારોએ પરિસ્થિતિ કળી જઈને, પરિષદમાં ભંગાણ પડવા ન દીધું અને પરિષદનો કાયાકલ્પ થયો. પરિષદનું નવું લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. સાહિત્યસેવીઓને એમાં યોગ્ય સ્થાન મળ્યું અને ચૂંટાયેલી મધ્યસ્થ સમિતિ અને કારોબારીએ પરિષદનું સુકાન સંભાળી લીધું. આ રીતે ઈ.સ.૧૯૫૫માં એના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામની જન્મભૂમિમાં અને એમની જન્મશતાબ્દીમાં ક.મા.મુનશીની સંમતિ સાથે પરિષદ પુનર્જન્મ પામી.

આ નવી પરિષદનું પ્રથમ સંમેલન ઈ.સ.૧૯૫૬માં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે અમદાવાદમાં યોજાયું અને એ રીતે અમદાવાદમાં જ જન્મેલી પરિષદ દ્વિજ બની. એના ઇતિહાસનો ત્રીજો વળાંક આરંભાયો. મુનશીજીએ એ પ્રસંગે હાજર રહી આ પરિષદને પોતાના આશીર્વાદ આપ્યા હતા. અમદાવાદ પછી કોલકતા, મુંબઈ, સુરત, જૂનાગઢ, ચેન્નાઈ, વલ્લભવિદ્યાનગર, પોરબંદર, કલ્યાણ, વડોદરા, હૈદરાબાદ, પૂના, વિલેપાર્લે, રાજકોટ અને કોઈમ્બતુર મુકામે એનાં સંમેલનો યોજાયાં. મોડાસા, દાહોદ, બાલાસિનોર, દ્વારકા, શારદાગ્રામ, ઈડર, આજોલ, કાંદીવલી, અલિયાબાડા, ગ્રામભારતી, લોકભારતી, વનસ્થલી, અમરેલી, ભાવનગર, સાવલી, નવસારી જેવાં સ્થળોએ એનાં જ્ઞાનસત્રો ભરાયાં. પરપ્રાંતમાં જઈને એ પ્રાંતના સાહિત્યકારો સાથે જ્ઞાનગોષ્ઠિઓ યોજાઈ. ભાષા-સાહિત્યને ઉપકારક એવી અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભાઈ અને એ રીતે પરિષદે લોકશાહી ઢબે પોતાની પ્રવૃત્તિઓ વિકસાવી.

પરિષદે ગુજરાતી ભાષાસાહિત્ય પ્રત્યે રુચિ કેળવવા માટે આસ્વાદ, સંસ્કાર અને દીક્ષા એ ત્રણ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસતા હતા. પરીક્ષાઓનો અભ્યાસક્રમ ક્રમિક સોપાનવાળો અને ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓને આવરી લે એવો સર્વગ્રાહી રાખવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ ઘણા સમયથી લેવાતી નથી. પરંતુ માતૃભાષાના કથળતા જતા ધોરણથી ચિંતિત થઈને પરિષદ યથાસમય આ પરીક્ષાઓનું પુનરાયોજન કરવાનું વિચારી રહી છે.

પરિષદ તરફથી લેખકો-ગ્રંથકારોને ઉત્તેજન મળે, ગુજરાતી સાહિત્યની અભિવૃધ્ધિ થાય અને ઉચ્ચ કોટિનું સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થાય, એ હેતુથી સમાજમાંથી અને હરિ ૐ આશ્રમ જેવી સંસ્થાઓ તરફથી મળેલાં દાન દ્વારા વિવિધ વિષયો અને સાહિત્ય સ્વરૂપલક્ષી પારિતોષિકો, દર બે વર્ષે યોજાતા જ્ઞાનસત્રમાં અપાય છે.

Since 1905

 

 



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.