માતૃભાષા સંવર્ધન કેન્દ્ર



વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી - ૨૦૧૫

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાતી સાહિત્ય પરિષદ સુધી “માતૃભાષા વંદનાયાત્રા” રેલી યોજવામાં આવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે રેલીને પ્રસ્થાન કરાવી માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવી હતી. પરિષદ પ્રાંગણમાં રેલીનું સ્વાગત ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આ રેલી તથા કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા સાહિત્યકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યના પ્રકાશન મંત્રી અને માતૃભાષા કાર્યક્રમ પ્રવૃત્તિના સંયોજક ડૉ. ઉષા ઉપાધ્યાયે કર્યું હતું.

કાર્યક્રમનાં ફોટા

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર - પરિચય



વર્તમાન સમયમાં સમાજ જે રીતે માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને અન્ય ભાષાથી પ્રભાવિત થતો જાય છે, તેનું સતત વધતું જતું પ્રમાણ જોઈને સમાજના અગ્રણી કેળવણીકારો ચિંતિત છે. આ પરિસ્થિતિમાં કોઈ માતૃભાષા સંવર્ધન સંદર્ભે જનજાગૃતિ કેળવાય, શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું ગૌરવ જળવાય આદિ બાબતો તરફ સક્રિય પ્રવૃત્તિ કરે તે જરૂરી બન્યું છે.

શ્રી ધીરુબહેન પટેલ, શ્રી નારાયણભાઈ દેસાઈ, શ્રી રવીન્દ્ર દવે, શ્રી રાસુભાઈ વકીલ, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી યોગેન્દ્ર વ્યાસ, શ્રી અરવિંદ ભાંડારી, શ્રી પી.જી.પટેલ વગેરે જેવા માતૃભાષાના હિતચિંતકોએ ૧૦૮ વર્ષથી પ્રસ્થાપિત અને ગુજરાતી પ્રજાના હૈયે આદર ધરાવતી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ આ પ્રવૃત્તિનું કેન્દ્ર બને તેમ વિચાર્યું. આ વિદ્વજનોના પ્રયાસોથી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સમિતિમાં ‘માતૃભાષા સંવર્ધન કેન્દ્ર સમિતિ’ની રચના કરવામાં આવી.



માતૃભાષાપ્રબોધ



માતૃભાષાના સંવર્ધનના ભાગ રૂપે જ આ ત્રૈમાસિક પત્રિકા ‘માતૃભાષાપ્રબોધ’ પ્રસિદ્ધ થઈ રહી છે. ‘પ્રબોધ’ એટલે ‘જાગૃતિ, જ્ઞાન’. માતૃભાષા સંવર્ધન કેન્દ્ર અંતર્ગત જે પ્રવૃત્તિ થાય છે, કે અન્ય સંસ્થાઓ દ્વારા પણ માતૃભાષા અંગેની જાગૃતિ કે સંવર્ધન માટે જે પ્રવૃત્તિ થાય છે, તેની માહિતી આ ત્રૈમાસિક પત્રિકા ‘માતૃભાષાપ્રબોધ’ દ્વારા આપવામાં આવશે. જેથી અન્ય લોકોને પણ આ પ્રવૃત્તિનો ખ્યાલ આવે. માતૃભાષા-પ્રબોધની પ્રવૃત્તિ નિરુપતા લેખ પ્રકાશિત કરવામાં આવશે, જેથી અન્યને પ્રેરણા મળે.

‘માતૃભાષાપ્રબોધ’ દ્વારા માતૃભાષા સંવર્ધન કેન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ દરેક ગુજરાતી ભાષક સુધી પહોંચીને તેના માતૃભાષાના કૌશલને વિકસાવવાનો અને તેના ગૌરવને જગાડવાનો ઉદ્દેશ ધરાવે છે.

કોઈ પણ ભાષક માતૃભાષા સંદર્ભે પોતાના યોગ્ય પ્રશ્નો કે સૂચન ‘માતૃભાષાપ્રબોધ’ દ્વારા વ્યક્ત કરી શકશે. ગુજરાતી રેડિયો, ટી.વી. અખબાર, સમાચાર, હોર્ડિંગ્સ વગેરે સંદર્ભે પણ તે અહીં પોતાની વાત મૂકી શકશે. એ રીતે આ ત્રૈમાસિક પત્રિકા ગુજરાતી ભાષકોની ત્રૈમાસિક પત્રિકા બનશે. સમાજના અન્ય ભાષાચાહકો પણ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર સાથે જોડાય તેવી અપેક્ષા છે.

માતૃભાષાપ્રબોધ : ત્રૈમાસિક પત્રિકા

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.